તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)
સરકાર દ્વારા ગામડે ગામડે સ્વચ્છતા જળવાય અને જાહરમાં લઘુશંકા કે શૌચ માટે જવું ના પડે એ માટે લાખો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલયો બનાવવામાં આવ્યા છે, પણ યોગ્ય પાયાની સુવિધાના અભાવે એ શૌચાલય ખંડેર હાલતમાં જોવા મળતા હોય છે. આવું જ એક શૌચાલય મેઘરજના રામગઢી ગામે જોવા મળ્યું છે.
મેઘરજ તાલુકાના રામગઢી ગામે ગામના અને બહારગામના સ્ત્રી-પુરુષોને શૌચક્રિયા માટે તકલીફ ન પડે તે માટે લાખોના ખર્ચે સ્ત્રી-પુરુષનું જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે. આ શૌચાલય બનાવ્યા પછી તેના માટે જરૂરી પાયાની સુવિધા નથી. જેથી આ શૌચાલય ઉપયોગમાં લેવાતું નથી.
પાંચ વર્ષ જેટલો સમય થયો પણ આ શૌચાલયમાં વીજળી કે વપરાશના પાણીની કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે આ શૌચાલય ખંડેર હલાતમાં છે. શૌચાલયના વોશ બેસિન તેમજ તમામ સાધનો હાલ ઉપયોગ વગરના તૂટેલા ફુટેલા જોવા મળ્યા છે.શૌચાલય બિનઉપયોગી રહેતા આસપાસ ઘાસનું સામ્રાજ્ય છવાયું છે. એટલે સરકારે ખર્ચેલા રૂપિયા જનતાને કોઈ કામ આવ્યા નથી અને પ્રજાજનોને આજે પણ શૌચાલય વગર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ શૌચાલયમાં પાણી અને વીજળીની સગવડ થાય એવી જનતાની માગ છે.