અરવલ્લી સમાચાર બ્યુરો
હિંમતનગરના ખેડ તસીયા રોડ અને ઇડર સ્ટેટ હાઈવેને જોડતો હાથમતી વિયર પરના ઓવરબ્રિજની કામગીરી ચોમાસાને લઈને બંધ થઇ હતી. જે કામગીરી હવે સાત મહિના બાદ શરૂ થશે. ખેડૂતોને સિંચાઈ માટે પાંચ પાણ પુરા થઇ ગયા છે. બીજી તરફ હાથમતી વિયરમાંથી પાણી ખાલી કરવાની શરૂઆત થઇ ચૂકી છે.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરથી ખેડ તસીયા રોડ અને હિંમતનગરથી ઇડર રોડને જોડતો હાથમતી વિયર પર રાજ્ય સરકાર દ્વારા રૂ. 21 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો. જેની કામગીરી વર્ષ 2023માં માર્ચમાં શરૂ થઇ હતી. અબડમેન્ટ અને 6 પિયર બની ગયા બાદ ચોમાસું શરૂ થયું હતું. જેને લઈને હાથમતી વિયરમાં પાણીની આવક શરૂ થઇ હતી. ત્યારબાદ ખેડૂતોને રવિ સીઝન માટે સિંચાઈ માટે પાણી આપવાનું હોવાથી વિયર ભરવામાં આવ્યો હતો. જેથી કામગીરી જુલાઈ-2023માં બંધ કરવામાં આવી હતી.
ખેડૂતોને રવિ સિઝનના પાચ પાણ પૂર્ણ થઇ ગયા છે ત્યારે હવે હાથમતી વિયર ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અગામી થોડાક દિવસોમાં ઓવરબ્રિજની કામગીરી શરૂ થશે. તો 6 પિયર અને એક પિયર કેપ બનાવી દેવામાં આવી છે. ત્યારે હવે બાકીના પિયર પર કેપની કામગીરી શરૂ થશે.
આ અંગે હિંમતનગરના માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર તુષાર પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાથમતી વિયર પર 21 કરોડના ખર્ચે ઓવરબ્રિજ 6 પિયર બે અબડમેન્ટ, 16 મીટર પહોળો જેમાં 11 મીટર રોડ અને બંને તરફ ફૂટપાથ, સ્ટ્રીટ લાઈટ સાથેનો બનશે. હાથમતી વિયર ખાલી થતા ફરી કામ શરૂ થશે.