અરવલ્લી સમાચાર બ્યુરો
ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં ચૈત્ર સુદ એકમથી નવરાત્રિ ઉજવાશે. જેને લઇ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં શુક્રવારના રોજ પ્રક્ષાલન વિધિ યોજાશે જેથી દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી પ્રવેશ અપાશે નહીં. આરતી પૂજા નિયમિત રૂપે ચાલુ રહેશે અને ત્યાર બાદ ભક્તો દર્શનનો લાભ લઈ શકશે.
આ અંગે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, અગામી 9 એપ્રિલના રોજ મંગળવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. તેને લઈને મંદિરમાં સવારે 8થી સાંજના 5 વાગ્યા દરમિયાન મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે જેને લઈને મંદિર બંધ રહેશે. પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ સાંજે મંદિરમાં આરતી થશે.