માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
જો રોજ પૂરતી ઊંઘ ન થાય તો તેનાથી સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. અપૂરતી ઊંઘના કારણે ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. જો તમારી ઊંઘ પણ પૂરી થતી ન હોય અને રાત્રે સુતા પછી ઊંઘ વારંવાર ઉડી જતી હોય તો તમારે રાતના ભોજન પર ધ્યાન આપવાની જરૂર છે. ઊંઘ ન થવાના ઘણા બધા કારણ હોય છે પરંતુ મુખ્ય કારણ હોય છે રાત્રે ખાધેલી કેટલીક વસ્તુઓ.
રાત્રે આપણે શું જમ્યા છીએ તેની અસર ઊંઘ પર થાય છે. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જેને રાત્રે ખાવાથી ઊંઘ પર અસર થાય છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે સારી ઊંઘ કરવી હોય તો રાત્રે આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. પરંતુ મોટાભાગના લોકો અહીં દર્શાવેલી ત્રણમાંથી 1 વસ્તુ રોજ ખાતા હોય છે. આ ભૂલના કારણે તેમને ઊંઘમાં પણ સમસ્યા થાય છે.
સુતા પહેલા ન ખાવી આ વસ્તુઓ
કેફિનયુક્ત પીણા
રાત્રે ભોજનની સાથે આલ્કોહોલ કે વધારે માત્રામાં કેફીન હોય તેવી વસ્તુઓનું સેવન કરવું નહીં. રાતના સમયે કેફિન શરીરમાં જાય તો સ્લીપ પેટર્નને અસર કરે છે. ખાસ તો સોફ્ટડ્રીંક્સ કે ચા કોફી રાત્રે લેવાથી ઊંઘ બગડે છે.
ટમેટા
શું તમે પણ રાત્રે કાચા ટમેટા ખાવાનું પસંદ કરો છો ? તો પછી સારી ઊંઘની આશા છોડી દેજો. કાચા ટમેટા રાત્રે ખાવાથી એસિડ રિફ્લેક્શન વધી જાય છે. જેના કારણે એ પાચન સંબંધિત સમસ્યા પણ થાય છે અને ઘણી વખત રાત્રે સૂતી વખતે બેચેની પણ વધી જાય છે. તેથી જો સારી ઊંઘ કરવી હોય તો કાચા ટમેટા ખાવાનું ટાળવું.
ડુંગળી
99% લોકો આ ભૂલ કરતા હોય છે. મોટાભાગના લોકોને રાત્રે કાચી ડુંગળી ભોજન સાથે ખાવાની આદત હોય છે. આ આદતના કારણે પેટમાં ગેસ બને છે અને પાચનતંત્ર પ્રભાવિત થાય છે. ઘણી વખત સુતી વખતે એસિડ ગળા સુધી આવી જાય છે. જેના કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી રાત્રે કાચી ડુંગળી ખાવાનું ટાળવું.
કેટલી ઊંઘ જરૂરી ?
ગાઢ ઊંઘ આવે તો શરીરની સાથે બ્રેન ફંક્શનને પણ આરામ મળે છે. જો ઊંઘ બરાબર ન થાય તો બ્રેન ફંક્શન પર પણ ખરાબ અસર પડે છે. સ્વસ્થ રહેવા માટે વયસ્ક વ્યક્તિએ 7 કલાક જેટલી ઊંઘ કરવી જોઈએ. જો સાત કલાકથી ઓછી ઊંઘ રોજ થાય તો વ્યક્તિને ઘણી બધી બીમારીઓ થઈ શકે છે.