અરવલ્લી સમાચાર બ્યુરો
પાટણ શહેર-જિલ્લા અને પંથકમાં ટ્રેનનાં મુસાફરો માટે એક સારા સમાચાર એ છે કે, તેઓને હવે લોકલ અને ડેમુ-મેમુ પ્રકારની પેસેન્જર ટ્રેનોમાં ઘટાડેલા ભાવે સાવ પાણી કરતાં પણ ઓછા દરે મુસાફરી કરવાનો લ્હાવો મળશે. પાટણ રેલવે સ્ટેશનેથી ઉપડતી લોકલ અને ડેમુ ટ્રેનોમાં પાટણથી મહેસાણાનો દર રૂા. 30 માંથી માત્ર રૂા.10 અને સાબસ્મતિનો રૂા. 50 નો દર અડધો કરીને રૂા. 25 કરી દેવામાં આવ્યો છે. આ પ્રકારે દેશભરની તમામ લોકલ-પેસેન્જર ડેમુ-મેમુ ટેનોમાં દર ઘટાડો કરી દેવામાં આવ્યો છે. જેનો અમલ થઈ ગયો છે.
પાટણ સ્ટેશને સવારની 6-20 તથા 10 વાગ્યાની ડેમુ ટ્રેનમાં અનુક્રમે સાબરમતી અને મહેસાણા જવા માટે બુકીંગ કરાવવા માટે ઉભેલા લોકોએ રાબેતા મુજબ જ રૂા. 10 અને રૂા. 50 લેખે માંગતા મુસાફરો પણ ચોંકી ઉઠ્યા હતા. બુકિંગ કલાકોએ વાતની જાણકારી આપતાં સૌએ આ દર ઘટાડાનો સહર્ષ સ્વિકાર પણ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, અગાઉ 2020 -21માં જ્યારે દેશભરમાં કોરોના કાળ ત્રાટક્યો હતો ને લાંબા સમય સુધી લોકડાઉન અમલી બનતાં દેશભરમાં ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવાયું હતું.
આ પછી લોકડાઉનમાં આંશિક છૂટછાટો મળતાં ક્રમશઃ ટ્રેનોને ફરીથી પાટે ચઢાવવામાં આવી રહી હતી ત્યારે ટ્રેનોમાં એ સમયની માંગ મુજબ સોસ્યલ ડિસ્ટન્સ જળવાય અને ભીડ ન થાય તે માટે તમામ લોકલ ડેમુ-મેમુ ટ્રેનોનાં ભાડામાં 50 થી 100 ટકા વધારો કરીને ટ્રેનોને ખાસ શ્રેણી (સ્પેશ્યલ કેટેગરી) એટલે કે, એકસ્પ્રેસ-મેલની શ્રેણીમાં મુકી દીધી હતી ને આ ટ્રેનોની સેકન્ડ ક્લાસનાં મુસાફર ભાડામાં વધારો કરી દીધો હતો.
આ પછી કોરોનાકાળ સમાપ્ત થતાં ને દેશભરની તમામ ટ્રેનો પુનઃ પાટે ચઢી જવા છતાં લાંબા સમય સુધી લોકલ અને મેમુ-ડેમુ મુસાફર ટ્રેનોનાં ભાડા ઘટાડ્યા નહોતા. પરંતુ હવે જ્યારે ચુંટણી નજીક હોવાથી રેલ્વે વિભાગે મુસાફરોને રાહત આપવા માટે લોકલ ટ્રેનોને ‘કોરોના ઇફેક્ટ’માંથી બહાર કાઢીને મુળ ઘટાડેલા ભાડાનાં સ્તરે મુકી દેવામાં આવતાં મુસાફરોને રાહત થઇ છે.