આખરે નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ:ચારેય ટેકેદારો હાજર ન રહેતા ફોર્મ કેન્સલ, કોંગ્રેસના વકીલે કહ્યું-હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈશું, આ ઓર્ડર કેટલો ટકશે એ ભગવાન જાણે

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો
  • નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી.
  • ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો.

સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ‘ગાયબ’ ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.

ભાજપના ડરાવવાથી ટેકેદારો ફરી ગયા છે: શક્તિસિંહ ગોહિલે
અમદાવાદમાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હું કે, નિલેશ કુંભાણીએ તેના પર દબાણ હોવાની વાત મને કરી હતી. ફોર્મમાં અને અરજીમાં થયેલી ટેકેદારની સહીને FSLમાં મોકલવા માગ કરી છે. બંનેમાં થયેલી સહી એક જ વ્યક્તિઓની છે. ભાજપના ડરાવવાથી ટેકેદારો ફરી ગયા છે. કોંગ્રેસની લીગલ ટીમ હાઇકોર્ટમાં જશે. બી.એમ. માંગુકિયા અમદાવાદ આવા રવાના થયા છે. ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરશે. ઇલેક્શન પિટિશન કરવા ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. ફોર્મ રદ કરવાની જોગવાઈ કાયદામાં નથી. પુરુષોત્તમ રૂપાલાના કેસમાં અપક્ષ ઉમેદવાર વાંધો લીધો હતો. અમે કોઈપણ ઉમેદવાર સામે વાંધો નથી ઉઠાવ્યો. ફોર્મ રદ કરાવવા કરતા અમે જનતા દરબારમાં જાવાનું પસંદ કરીશું.

સુરત કલેક્ટર કચેરીએ 9 વાગ્યા પછી હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. આ ડ્રામા વચ્ચે કુંભાણીના ફોર્મ મામલે બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી.

કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું કે, હાઇકમાન્ડ કહેશે એ પ્રમાણે હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં જઈશું. આ ઓર્ડર કોર્ટમાં કેટલો ટકશે એ ભગવાન જાણે. રાત્રે હાઇકોર્ટ ખોલાવીશું.

અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલે ષડ્યંત્ર રચ્યુંઃ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા
આ મામલે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અનુપ રાજપૂતે જણાવ્યું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાવવા માટે હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયાએ ષડ્યંત્ર રચ્યું છે. અપહરણમાં આ બન્ને જ ષડ્યંત્રકારી છે. જ્યારે બન્ને કોંગ્રેસમાં હતા ત્યારે નિલેશભાઈ સાથે તેમને નજીકના સંબંધ હતા. તેમજ નિલેશભાઈના આસપાસના લોકોને પણ તેઓ સારી રીતે ઓળખે છે. જો અત્યારે પોલીસ તપાસ કરે તો 16મી મિનિટ નહીં થાય, અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલનું નામ ખૂલે તે જવાબદારીપૂર્વક કહું છું.

લોકશાહીનું ખૂન કરવાનું એક મોટું ષડ્યંત્ર: બાબુ માંગુકિયા
કોંગ્રેસના વકીલ બાબુ માંગુકિયાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, અમારી દલીલ એ છે કે, લોકશાહીનું અપહરણ થઈ રહ્યું છે, ચાર જણાનું અપહરણ થયું છે, અમે ગઈકાલે કલેક્ટર સમક્ષ ફરિયાદ આપી છે. ટેકેદારોને એમની સમક્ષ લાવી સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવી ફરી એમને ગુમ કરી દેવામાં આવ્યા છે, આ ચારેય એફિડેવિટ શંકાના દાયરામાં છે, અમારા નોમિનેશન પેપરને કોઈએ ચેક કર્યું જ નથી તો લોકોને ખબર કેવી રીતે પડી કે આ અમારા ટેકેદાર છે?. ધારો કે અમારા ચાર ટેકેદારો છે એને ખબર પડે તો ચારેયનો સ્ટેમ્પ પેપર એક જ જગ્યાએ એક જ સિરિયલ નંબરમાં એક જ વ્યક્તિ કરી દે છે. એક જ નોટરી સમક્ષ ચારેય ચાર સોગંદનામાં થયાં છે. એક જ પ્રિન્ટર ઉપર આ ચારેય ચાર એક પ્રકારના લખાણમાં નામ ચેન્જ સિવાયના તમામ કોમ્પ્યુટર કોપી છે. આ બતાવે છે કે આ એક સ્પોન્સર્ડ ગેમ છે, કાવતરું છે, લોકશાહીનું અપહરણ કરવાનું, લોકશાહીનું ખૂન કરવાનું એક બઉ મોટું ષડ્યંત્ર છે. નિલેશ કુંભાણી પાછળના દરવાજાથી કલેક્ટર કચેરીથી રવાના થયા છે. બાબુ માંગુકિયાએ કહ્યું કે, તે મીડિયાથી ગભરાય છે. જો તમારે એમની સાથે વાત કરવી હોય તો હું થોડીવારમાં એમને લઈને આવું. નિલેશ કુંભાણી પાછળના દરવાજાથી કલેક્ટર કચેરીથી રવાના થયા છે.

‘નિયમ પ્રમાણે ટેકેદારે કલેક્ટરની હાજરીમાં સહી કરવાની ન હોય’
બાબુ માંગુકિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ફોર્મ સ્વીકારવું જ પડે અને 2022ની ચૂંટણીમાં આપના ઉમેદવારના કેસમાં આવો જ બનાવ બન્યો હતો. જેમાં રિટર્નિંગ ઓફિસરે ફોર્મ સ્વીકાર્યું હતું. ટેકેદારો કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવ્યા હતા પણ મર્યાદિત સંખ્યાને કારણે પોલીસે અંદર જવા દીધા નહોતા, જો તેમણે સાઇન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં આવે જ નહીં. નિયમ પ્રમાણે ટેકેદારે કલેક્ટરની હાજરીમાં સહી કરવાની ન હોય.

‘ડમી ઉમેદવાર મળતા નથી’
આ એક મહત્ત્વનું પાસું છે કે ક્યાં ષડ્યંત્ર થયું છે.આ ચારેયે મીડિયા સમક્ષ આવીને કહેવું જોઇએ કે અમારી સહી નથી અને આ અમારો સાળો ખોટું બોલે છે. મારી સહી જ નથી, પરંતુ આમ થતું નથી તેનો અર્થ એ થાય કે તેમનું અપહરણ થયું છે. તેમને એવી જગ્યાએ રાખી બોલાવી લેવામાં આવ્યું છે કે, અમે સહી કરી નથી. જો મારો સગો બનેવી ન મળી શકતો હોય, બીજા મારા ભાગીદાર મળી શકતા ન હોય, બીજા મારા ખાસ ટેકેદાર મળી શકતા ન હોય. તમારા શહેરમાં કાયદાની સ્થિતિ આનાથી ગંભીર ક્યારેય હોઇ શકે નહીં. અને જો અપહરણ થઈ જાય અને લોકસભાના ઉમેદવારનું ફોર્મ રદ થઈ જાય અને તમે મૂક પ્રેક્ષક બની રહો છો તો એનો અર્થ એ થાય કે તમે ષડ્યંત્રકારી છો. જ્યારે ડમી ઉમેદવાર અંગે બાબુ માંગુકિયાએ કહ્યું કે, ડમી ઉમેદવાર મળતા નથી. હું તેનો સંપર્ક કરી શકતો નથી.

માણસ બોલીને ફરી જાય એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય: ઝમીર શેખ
ઝમીર શેખ જણાવ્યું કે, ગઈકાલે ચારે ચાર ટેકેદાર કલેક્ટરની સામે આવ્યા અને કેમેરા સામે બોલી ગયા આ સવાલનો જવાબ આપી દઉં. 164 મુજબ જ્યારે પણ કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે પણ લોકો ડરના માર્યા ખોટું બોલી જાય છે કારણ કે જજ સાહેબની ચેમ્બર બહાર જે માણસ ઊભો છે ભય એનો છે. કલેક્ટરની સામે જે માણસ ઊભો છે તેને કોણ લઈને આવ્યું તેને કોણ બહાર લઈને જાય છે એ તપાસનો વિષય છે. ભાજપની રજૂઆત છે કે, સહી ટેકેદારોની છે એવું જાતે કહી ગયા તેનો જવાબ એવો છે કે, ઘણીવાર માણસ બોલીને ફરી જાય છે એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય.

ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં
હજી સુધી કોઈ ટેકેદાર હાજર થયા નથી, હવે 11 વાગ્યા સુધી રાહ જોવાશે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી એડવોકેટની ટીમ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, તેમનું કહેવું હતું કે, ટેકેદાર આવી જશે. કલેક્ટર કચેરીમાં ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં હતાં. જોકે એક ટેકેદાર રમેશ પોલરા હાજર થઈ ગયો હોવાની માહિતી મળી હતી. બંને પક્ષના વકીલો પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

ટેકેદાર હાજર ન થાય તોય ફોર્મ મંજૂર થશે: ઝમીર શેખ
કોંગ્રેસ પક્ષના એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું કે, આજનો 9 વાગ્યાનો સમય આપ્યો છે, મારી રજૂઆત કાયદાના ઉપર જ થશે, કોઈ પણ ક્રાઈમ થયો હોય તો તેની પાછળ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત્ત્વની વાત એ છે કે, એનો હેતુ (મોટિવ) હોવો જોઈએ, પણ અહીંયાં મોટિવ કોઈ છે જ નહીં, શું કામ કોઈ કોઈની ખોટી સહીઓ કરે. ટેકેદારોનો કોઈ સંપર્ક થયો છે કે કેમ એવું પૂછતા તેમણે કહ્યું હતું કે, એ તમારે નિલેશભાઈને પૂછવું પડશે. મારું કામ દલીલો કરવાનું છે. જો કોઈ ટેકેદાર હાજર ન થાય એને લઈ પૂછતા તેમણે કહ્યું કે, તોય ફોર્મ મંજૂર થશે.

હાઈકોર્ટમાં અરજન્ટ સુનાવણીની અપીલ કરી હતી
નિલેશ કુંભાણી મામલે કોંગ્રેસ હાઈકોર્ટ એડવોકેટ બાબુ માંગુકિયાએ પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી. તેઓના જણાવ્યા મુજબ HCમાં હેબિયસ કોર્પસ માટે હાઈકોર્ટમાં અરજન્ટ સુનાવણીની અપીલ કરી હતી. કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ટેકેદાર દ્વારા કરાયેલા આક્ષેપ અંગે ત્રણ અરજી કરાઈ હતી. આજે એની સુનાવણી છે. ત્રણ ટેકેદારોએ જે સહી કરી તે તેઓની હાજરીમાં કરવામાં આવી હતી. ત્રણેય ટેકેદારોને કલેક્ટર કચેરીમાં હાજર કરી ઊલટ તપાસ કરાશે. આ લોકશાહીનું અપહરણ નહીં પરંતુ હત્યા છે. ડરાવી, ધમકાવી, લોભ-લાલચ આપી ફોર્મમાં સહી ખોટી હોવાનું કહેવડાવ્યું છે. અમે હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ કરીએ છીએ તેવું તેમણે કહ્યું હતું.

શું આજે બધું સ્પષ્ટ થશે?
વધુમાં જણાવતા બાબુ માંગુકિયાએ કહ્યું હતું કે, જગદીશ સાવલિયા અને નિલેશ કુંભાણી સગા બનેવી છે. ધ્રુવીન ધામેલિયા ભાણેજ છે. આ ત્રણેય લોકોએ ટેકેદારોની સહી કરી ન હોવાના આક્ષેપ કર્યા છે. ત્રણેયના અપહરણની લેખિતમાં અરજી કરી છે. અમે ચૂંટણીનું મેદાન છોડી ભાગવાવાળા નથી. ત્રણેય ટેકેદારો ભાજપના એજન્ટની હાજરીમાં હાજર થયા હતા. અમે ત્રણેય ટેકેદારનો સંપર્ક કરી રહ્યા છીએ. ત્રણેયના મોબાઈલ પણ બંધ આવે છે.

ભાજપના તમામ દાવપેચ સામે કોંગ્રેસની જીત થશે: મનીષ દોશી
સુરત કોંગ્રેસની ઉમેદવારીની પડેલી ગૂંચ અંગે મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપે આખું તંત્ર ઊભું કર્યું છે. ટેકેદારો સાથે વહેવાર કર્યા બાદ વાંધો ઊભો થયો છે. મારી લીગલ ટીમ દ્વારા હાલ સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે. મારી રજૂઆત બાદ અમને વધુ સમય આપવામાં આવ્યો છે. ભાજપ પ્રશાસનનો ઉપયોગ કરી રહ્યું છે. તંત્ર ભાજપ સામે નતમસ્તક છે. જે રમત રમાઈ છે અને જે કરવામાં આવ્યું છે તે અમે ખુલ્લું પાડીશું. વધુમાં જણાવતા કહ્યું કે, ચૂંટણીપંચને વિનંતી છે કે, ન્યાયિક અને પારદર્શી ચૂંટણી કરાવે. ભાજપના તમામ હથકંડા સામે કોંગ્રેસની જીત થશે. અધિકારીઓ અને તંત્ર હજુ સુધી કેમ ચૂપ છે? પ્રશાસન ભાજપના આદેશથી કે ચૂંટણીપંચના આદેશથી કામ કરે છે?

બિન્દાસ્ત અપહરણ થયું છે: ગોપાલ ઇટાલિયા
ગઈકાલે આ મામલે ગોપાલ ઇટાલિયાએ જણાવતા કહ્યું હતું કે, હજુ સુધી નિર્ણય નથી લેવાયો, ભાજપના લોકોએ ફોર્મ રદ કરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો આપ્યો હતો, એમની સામે અમે અમારો પક્ષ રજૂ કર્યો છે, અમને 4 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો ને હવે ફરીથી આવતીકાલે રવિવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. વધુમાં જણાવતા કહ્યું હતું કે, ટેકેદારો ભાગી નથી ગયા, ધોળા દિવસે કિડનેપ કરી લીધા છે. ચૂંટણીના દિવસોમાં અપહરણ કર્યું છે, બિન્દાસ્ત અપહરણ થયું છે, અમે પોલીસમાં લેખિત અરજી આપી છે, ચૂંટણી અધિકારીને પણ અરજી આપી છે કે અપહરણ કરવામાં આવ્યું છે, છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અપહરણ કરનારા લોકો જ અહીંયાં આવીને વાંધા અરજી આપે છે, એમનો કોઈ સંપર્ક જ નથી થતો.

રાત સુધીમાં તેમનો સંપર્ક થઈ જશે: નિલેશ કુંભાણી
ફોર્મ રદ થયાના સમાચાર મીડિયા દ્વારા મળ્યા ત્યારે સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી તાત્કાલિક ધોરણે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. ફોર્મ રદ થવાને લઈ તેમણે જણાવ્યું કે, ફોર્મ રદ થવાની જાહેરાત આજે શનિવારે નહીં થાય, ફોર્મ મુદ્દે આવતીકાલે રવિવારે સુનાવણી થશે, રવિવારે સવારે 11 વાગ્યા સુધીનો સમય અપાયો છે. નિલેશ કુંભાણીનું કહેવું હતું કે, તેમના ત્રણ ટેકેદારો રમેશભાઈ બાવચંદભાઈ પોલરા, જગદીશ નાનજીભાઈ સાવલિયા અને ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયાનું અપહરણ થઈ ગયું છે. રાત સુધીમાં તેમનો સંપર્ક થઈ જશે. આવતીકાલે રવિવારે સવારે 11 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીએ હાજર કરીશું.

ફોર્મ રદ થયાનું લેખિત મળ્યું નથી: નૈષધ દેસાઈ
કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારે કહ્યું કે, આ અમારી સહી નથી. બીજી તરફ ડમી ઉમેદવારે ભરેલા ફોર્મમાં પણ એક ટેકેદારે કહ્યું છે કે આ અમારી સહી નથી. આ રાજનીતિનું ફારસ છે. આ ચકાસણી ફારસ છે. (સૌરભ પારધીને ટી. એન. શેષન કહે છે તેને સંબોધીને પણ કહે છે કે, આ તેમનું પણ ફારસ છે) હે રામ ચૂંટણીનું ફારસ ચાલશે, હે રામ, ટી.એન. શેષન ચાલશે. અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું. અરજન્ટ સુનાવણી હાઈકોર્ટ કરે અને રાત્રિ સુધીમાં ઓર્ડર આપે એવી પ્રાર્થના. 3 દિવસમાં આ ન બન્યું, હે રામ, કહી નૈષધ દેસાઈએ અનેક સવાલ ઊભા કર્યા. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક સૂચના મળી છે, લેખિત મળ્યું નથી.

‘હવે ઉમેદવાર કોણ એ ફોર્મ ખેંચવાની તારીખે ખબર પડશે’
હે રામ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ શહીદ જ થવાનું છે એવું પૂછતા કે ટેકેદારો કોંગ્રેસના જ હતા તો આવું કેમ થયું? એના જવાબમાં નૈષધ દેસાઈએ કહ્યું કે, ધારાસભ્ય અને સાંસદની હરાજી લાગી છે. ટેકેદારોએ છેલ્લી ઘડીએ અરજી કરી તો શું એ અમારા ધ્યાનમાં નહીં આવે અને ટેકેદારો અમારા સંપર્કમાં છે. ટેકેદારોને કોઈ પ્રેમભાવ અને રામભાવથી કોઈ ઊંચકી ગયા છે. હવે ઉમેદવાર કોણ એ ફોર્મ ખેંચવાની તારીખે ખબર પડશે.

સુરત લોકસભા બેઠક પર કુલ 24 ફોર્મ ભરાયાં
આ અંગે સુરતના ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ ઇલેક્શન કમિશનમાં કોંગ્રેસના ઉમેદવારના ત્રણ ટેકેદાર સામે ફરિયાદ કરી હતી. નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર તરીકે સુરેશભાઈ પડસાળાએ ફોર્મ ભર્યું છે અને જો કુંભાણીનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર સુરત બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી શકે છે. સુરત લોકસભા બેઠક પર કુલ 24 ફોર્મ ભરાયાં છે, જેમાં ભાજપ અને કોંગ્રેસની સાથે બહુજન સમાજ પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અખિલ ભારત હિન્દુ મહાસભા, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી, લોગ પાર્ટી, બહુજન રિપબ્લિકન સોશિયલિસ્ટ પાર્ટી અને ચાર અપક્ષમાંથી ફોર્મ ભરાયાં છે.

અમારા ફોર્મમાં કોઈપણ પ્રકારની ખામી નથી: નિલેશ કુંભાણી
નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે તેમને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. સતત ફોન આવતા કે તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે. અહીં કલેક્ટર ઓફિસેથી કોઈ માહિતી આપી નથી. કલેક્ટરે તેમને 4 વાગ્યે આવો એવું કહ્યું હતું. પછી જે કાંઈ હશે એ માહિતી આપશે. તેમને કોઈ વસ્તુ કહેવામાં આવી નથી. મીડિયા દ્વારા ફોન આવ્યો હતો કે તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, અમારા ફોર્મમાં કોઈપણ પ્રકારની ખામી નથી. ટેકેદારો પણ અમારી સાથે છે.

ટેકેદારો કોણ છે એને પાછા લાવીશું: ભૂપેન્દ્ર સોલંકી
આ મામલે મનપાના વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, અમને કલેક્ટરે 4 વાગ્યે ફોર્મની ફરી ચકાસણી માટે બોલાવ્યા. ફરિયાદ શું છે, કોની ફરિયાદ છે એવું અમને ખબર નથી. ટેકેદારોની ખોટી સહીઓ છે એવું કહે છે. અમે 4 વાગ્યે કલેક્ટર કચેરીએ જઈશું, અમારા આગેવાનો પણ સાથે આવશે. અત્યારે સ્પષ્ટ વાત ન કરી શકું કે, જ્યાં સુધી ફોર્મની ચકાસણી ન થઈ જાય. અમારી સામે ખોટી ફરિયાદ કરી હશે તો અમે પણ મુકેશ દલાલના ફોર્મની સામે ફરિયાદ કરીશું. ટેકેદારો કોણ છે એને પાછા લાવીશું. ફોર્મ રદ થવાની કોઈ શક્યતા નથી.

નિલેશ કુંભાણી કોણ છે?
કોંગ્રેસે આ વખતે મૂળ સૌરાષ્ટ્રવાસી અમરેલી જિલ્લાના એવા નિલેશ કુંભાણી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશ કુંભાણી કોંગ્રેસમાં અજાતશત્રુ ગણાય છે. તેમ છતાં તેમની ટિકિટ કાપવા માટે કેટલાક લોકોએ પ્રયાસ કર્યા હતા. નિલેશ કુંભાણી જૂના અને કસાયેલા કોંગ્રેસી છે. તે પાટીદાર આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા અને એ વખતે તેમની ઓફિસ અગત્યનું સેન્ટર બની ગઈ હતી. સાથે સાથે તેઓ 2015થી 2020 સુધીની સમયગાળા દરમિયાન ભાજપના કોર્પોરેટરોના ઉમેદવારોને હરાવી કોંગ્રેસમાંથી કોર્પોરેટર પણ બન્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં કામરેજ બેઠક પરથી તેમનો પરાજય થયો હતો. અલબત્ત બે ચૂંટણી તેઓ હારી ચૂક્યા છે, પરંતુ નિલેશ કુંભાણી ખાસ કરીને વરાછા રોડ, કતારગામ વિસ્તારમાં ખૂબ જાણીતું નામ છે. તેની સાથે સાથે પાટીદાર સમાજમાં પણ તેઓ જાણીતો ચહેરો છે. અલબત્ત કોંગ્રેસે આ વખતે તેમની ઉપર પસંદગી ઉતારી છે તે માત્ર વરાછાવાસી એટલે કે સૌરાષ્ટ્રવાસી મતદારોને ધ્યાનમાં રાખીને જ તેમની પસંદગી કરવામાં આવી હોય તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com