અરવલ્લી સમાચાર બ્યુરો
ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટું પડતાં ખેતીમાં નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. શનિવાર બપોરે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. કલોલકંપાના પટેલ હસમુખભાઈ, મુકેશભાઈ, નવીનભાઈના જણાવ્યા અનુસાર વિસ્તારમાં વાવેતર કરેલી વરિયાળી અને ઘઉં આડા પડી ગયા છે. જ્યારે જે ખેડૂતોને બટાટા કાઢવાના બાકી છે તે ખેતરોમાં પાણી ભરાતાં બટાકામાં ફૂગ લાગી જશે. વરસાદના કારણે બટાકા ભરતી વખતે તાડપત્રી ઢાંકી બટાકા બચાવવાનો પ્રયાસ કરાયો હતો. ઉપરાંત ખેડબ્રહ્મા એપીએમસીમાં ખુલ્લામાં મૂકેલ ઘઉં, મકાઈ, કપાસ, એરંડા અને રાયડો પલળી જતાં વેપારીઓને પણ નુકસાન થયું હતું. ખેડબ્રહ્મામાં યાર્ડમાં માલ પલળી ગયો હતો .