તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)
- ભિલોડાના વાદીયોલ ગ્રા.પંચાયત હેઠળની આંગણવાડી જર્જરિત
- મેઘરજના રાજપુર પ્રા.શાળા ખખડધજ હાલતમાં
- જીવના જોખમે અભ્યાસ કરવા બાળકો મજબૂર
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુવિધાસભર શિક્ષણ મળે તે માટે કરોડોના ખર્ચે નવા નવા શિક્ષણ ભવન બન્યા હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને આજે પણ જર્જરિત ઓરડામાં જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. જેમા અરવલ્લી (મોડાસા)ના મેઘરજના રાજપુર ગામે આવેલી પ્રા શાળા જર્જરિત હાલતમાં ત્રણમાંથી બે ઓરડા નોનયૂઝ છે. એક છે એ પણ જોખમી, 55 બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે નાના ભૂલકાઓને પૌષ્ટિક આહાર સાથે પાયાનું જ્ઞાન મળે તે માટે સરકાર બાળ વિકાસ વિભાગ દ્વારા અંગણવાડીઓ બનાવવામાં આવી છે પરંતુ ભિલોડા તાલુકાના વાદીયોલ કેટલીક આંગણવાડી જર્જરિત છે. જેના કારણે વિદ્યાર્થીઓને મંદિરમાં બેસી ભણવું પડે છે.
ભિલોડા તાલુકામાં આવેલી વાદીયોલ ગ્રામપંચાયત વિસ્તારમાં વાદીયોલ -1, સોળપુર અને અસાલ ગામની આંગણવાડીઓ 2006માં બનેલી છે. છતાં નબળી કામગીરીને લઈ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બેસાડવા ભારે હાલાકી પડી રહી છે.ચોમાસામાં આંગણવાડીમાં પાણી પડે છે. પોપડા પણ ઉખડી ગયા છે. ક્યારેક ભૂલકાઓ અભ્યાસ કરતા હોય ત્યારે તેમના ઉપર પડે તો ઇજા થાય. જેથી હાલ આ આંગણવાડીના ભૂલકાઓને મજબૂરી વશ ગામના મંદિરમાં બેસાડી અભ્યાસ કરાવવો પડે છે.ગામના સરપંચ સહિત અગ્રણીઓએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે પણ તંત્ર આ રજૂઆતને ધ્યાને લેતું નથી. મકાનના હોવાના કારણે ક્યારેક બાળકોને નક્કી કરેલા ગરમ આહાર આપવામાં પણ વિલંબ વેઠવાનો વારો આવે છે. જેથી આંગણવાડીનું મકાન નવું બનાવી આપે તેવી ગામના સરપંચ સહિત અગ્રણીઓની માગ છે.વાત કરીએ મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા રાજપુર પ્રા.શાળાની તો આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ ચાલે છે. શાળાના કુલ 55 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રા.શાળામાં કુલ ત્રણ ઓરડા હતા. જેમાંથી બે ઓરડા જર્જરિત હોવાથી નોન યુઝ કરીને પાડી દીધા છે.
હાલ એક જ ઓરડામાં બેસી બે શિક્ષકો ધોરણ 1 થી 5 ના 55 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે. મહત્વનું એ છે કે, રાજપુર પ્રા.શાળામાં જે એક ઓરડો છે એ પણ જર્જરિત છે. ઓરડાના પતરા પણ ઉડી ગયેલા છે દીવાલોમાં પણ મોટી મોટી તિરાડો પડેલી છે. પીવાના પાણીની ટાંકી પણ બિસમાર હાલતમાં છે. રસોઈ ઘર પણ જર્જરિત છે.આમ ફક્ત એક ઓરડામાં બેસી તમામ 55 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ક્યા સમયે દુર્ઘટના સર્જાય એ નક્કી નહીં માટે રાજપુર પ્રા.શાળાના તમામ નવા ઓરડા તાત્કાલિક બને એવી ગ્રામજનોની માગ છે.