માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)
- આગામી ૭ મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે.
- અરવલ્લી જિલ્લામાં પણ એ જ દિવસે લોકસભાની ચૂંટણી યોજાશે.
- જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અલગ અલગ માસે વોટ મારો અધિકાર કાર્યક્રમો યોજવામાં આવે છે.
ચૂંટણી એટલે લોકશાહીનું મહા પર્વ, મત આપવો એ મતદારની ફરજ હોય છે છતાં ક્યાંક મત આપવામાં મતદારો કેટલીક વખત ઉદાસીનતા દાખવતા હોય છે. ત્યારે મતદારો મતદાનની ફરજ અદા કરી અને ભવ્ય રીતે લોકશાહીનું પર્વ ઉજવે તે માટે આજે અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે સાયકલ રેલી યોજવામાં આવી હતી. આગામી ૭ મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ એ જ દિવસે લોકસભાની ચૂંટણી યોજાશે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં મતદારો ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અલગ અલગ માસે વોટ મારો અધિકાર કાર્યક્રમો યોજવામાં આવે છે. તે અંતર્ગત આજે મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે માલપુર રોડ પર આવેલ સાઈ મંદિર ખાતે જિલ્લા કલેક્ટર સહિત સરકરી અધિકારીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ, સિનિયર સિટીઝન્સ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પ્લે કાર્ડ સહિત સાયકલ રેલી યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર પણ સાયકલ દ્વારા રેલીમાં જોડાયા હતા.આ સાયકલ રેલી મોડાસાના અલગ અલગ વિસ્તારમાં ફરીને મેઘરજ રોડ આવેલા ઉમિયા મંદિર પહોંચી હતી અને ત્યાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સાયકલ રેલીનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ લોકસભા ચૂંટણીમાં અરવલ્લી જિલ્લો મતદાન માટે મોખરે રહે એ માટે અલગ અલગ કાર્યક્રમો દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરાશે અને મતદાનની ફરજ અંગે ઉપસ્થિત તમામને ફરજિયાત મતદાન અંગે શપથ લેવડાવ્યા હતા.